HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

25 એપ્રિલ, 2014

આટલું વાંચો

કુદરતમાં બધા જીવ પોતપોતાનું કામ કરે છે. માત્ર મનુષ્ય જ બીજાઓએ શું કરવું જોઈએ એનો ખ્યાલ રાખે છે, પણ પોતે શું કરવું જોઈએ એનો ક્યારેય ગંભીરતાપૂર્વક વિચાર કરતો નથી. એટલું જ નહીં, બીજાઓએ શું કરવું, ન કરવું જોઈએ એ બાબતમાં દરેક માણસ ઘણો જ ચોક્કસ હોય છે
આઝાદીનું આંદોલન જ્યારે પુરજોશમાં ચાલતું હતું ત્યારે લેખક-પત્રકાર સદાનંદને કોઈએ પૂછયું કે સ્વતંત્રતાના આંદોલનમાં લોકોની આગેવાની લઈને તેઓ શા માટે સક્રિય થતા નથી ત્યારે તેમણે જવાબ આપેલો કે, "હું મારું કામ કરું છું. બધાને બધું જ ન આવડે." તેમના કહેવાનો અર્થ એવો હતો કે તેઓ જે કામ કરી રહ્યા હતા તે બરાબર અને પર્યાપ્ત હતું. તેમને જે કામ આવડતું હતું પત્રકાર-લેખક તરીકે લખવાનું તે તેઓ નિષ્ઠાપૂર્વક કરતા હતા. બધાને બધું કામ ન આવડે માટે બધા બધું કામ ન કરી શકે.
કેટલુંક કામ લોકોની નજરે તરત જ ચડી જાય છે તો કેટલુંક કામ નજરમાં આવતું નથી, પરંતુ જો બધા પોતપોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે તો તંત્ર બરાબર ચાલે છે, નહીં તો બધું અટકી પડે છે.
એક સરસ વાત છે.
એક વાર શરીરના અવયવો ભેગા થયા. ઘણી ચર્ચાવિચારણાઓ થઈ. દરેક અવયવ પોતે ખૂબ જ કામ કરે છે અને સૌથી વધારે અગત્ય ધરાવે છે એવી દલીલો થઈ. પગ કેટલાંયે કિલોમીટર ચાલે છે. ખોરાક માટે અહીં તહીં ભટકવું પડે છે ત્યારે અથવા તો ક્યારેક જીવ બચાવવા માટે પગે જ શ્રમ કરવો પડે છે. હાથ જ ખાવાપીવાની, લખવાની કે મહેનત કરવાની અનેક પ્રવૃત્તિઓ કરે છે. હાથ થાકી જાય છે. આંખો સતત બધું જોતી રહે છે, કાન સાંભળતા રહે છે વગેરે. અંતે, સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે માત્ર પેટ એવું છે કે જે કાંઈ જ કામ કરતું નથી અને માત્ર ખાધા જ કરે છે માટે એનો બહિષ્કાર કરવો. બધા અવયવોએ સામૂહિક રીતે એનો બહિષ્કાર કર્યો. પેટને ખોરાક મળવાનો બંધ થયો. સમય પસાર થવા લાગ્યો. શરીર અશક્ત થવા લાગ્યું. સમગ્ર શરીરની સાથે હાથ-પગની શક્તિ ક્ષીણ થવા લાગી. આંખોની દૃષ્ટિ ધૂંધળી થવા લાગી. છેવટે બધા અવયવોને સમજાયું કે પેટના કામ બાબતમાં તેમની બધાની ઘણી મોટી ગેરસમજ અને ગંભીર ભૂલ હતી. તેનું કામ પ્રથમ દૃષ્ટિએ નહોતું, પરંતુ ખૂબ મહત્ત્વનું હતું. દરેક અવયવએ પોતપોતાનું કામ શરૂ કરી દીધું અને બધાએ સ્વીકાર્યું કે દરેક અવયવનું કામ સરખું જ મહત્ત્વ ધરાવે છે. કોઈનું કામ નાનું-મોટું કે ઓછું-વધુ મહત્ત્વનું નથી. એટલું જ નહીં, બધા બધું કામ કરી શકે નહીં.
કુદરતમાં બધા જીવ પોતપોતાનું કામ કરે છે. માત્ર મનુષ્ય જ બીજાઓએ શું કરવું જોઈએ એનો ખ્યાલ રાખે છે, પણ પોતે શું કરવું જોઈએ એનો ક્યારેય ગંભીરતાપૂર્વક વિચાર કરતો નથી. એટલું જ નહીં, બીજાઓએ શું કરવું, ન કરવું જોઈએ એ બાબતમાં દરેક માણસ ઘણો જ ચોક્કસ હોય છે, પરંતુ માણસની જિંદગી એવી છે કે જિંદગીના કોઈ એક તબક્કે પોતાનું કામ નહીં કરી શકવા બદલ ઘણો અફસોસ રહી જાય છે. જીવનની સંધ્યાએ પહોંચે છે ત્યારે માણસને એના વિચારો આવે છે અને કેટલીક વાર આ ડંખ જિંદગીના અંતિમ દિવસો સુધી રહ્યા કરે છે. ઘણું ઘણું કરી જવાનું હતું પણ કશું જ કરી ન શકાયું. જિંદગી બહુ ઝડપથી વીતી ગઈ! બહુ ટૂંકી પડી! માત્ર પીડા આપી ગઈ, કામ નહીં કરી શકવાની પીડા!
અને કોઈ પણ કાર્ય પૂરું કરવા માટે માણસે સતત પોતાની જાતને સુધારતા, સંવારતા રહેવં પડે છે. બીજાની જાતને સુધારવાથી જિંદગીના અંતે અફસોસ સિવાય કશું રહેતું નથી. લંડનના વેસ્ટમિનિસ્ટર કબ્રસ્તાનમાં એક સુધારાવાદી પાદરીની કબર ઉપર આવું લખાણ લખેલું છેઃ
"જ્યારે હું મારી ઊગતી જુવાનીમાં તદ્દન મુક્ત અને સ્વતંત્ર હતો, મારી કલ્પનાઓને કોઈ સીમા નહોતી ત્યારે હું દુનિયાને બદલી નાખવાનાં સ્વપ્ન જોતો હતો. પછી હું જ્યારે પરિપક્વ થયો ત્યારે મને જ્ઞાન લાધ્યું કે દુનિયા બદલી શકાશે નહીં. મેં મારી વિશાળ દૃષ્ટિ ટૂંકાવીને, મારી હેસિયતનો વિચાર કરીને, સમગ્ર વિશ્વને બદલી નાખવાના બદલે માત્ર મારા દેશને બદલવાનો સંકલ્પ કર્યો, પરંતુ તેમાં એક જરા જેટલો સુધારો હું કરી શક્યો નહીં, બધું જ જડ હતું. મારી જિંદગીની સંધ્યાનાં વર્ષો શરૂ થયાં એટલે ભગ્નહૃદયે મેં માત્ર મારા કુટુંબના લોકોને, જે બિલકુલ મારી નજીક હતા તેમને બદલવાનો છેલ્લો પ્રયત્ન કર્યો. પણ અફસોસ! તેઓમાંના કોઈ એકમાં પણ ફેરફાર કરી શકાયો નહીં અને આજે જ્યારે હું મૃત્યુશય્યા ઉપર છું ત્યારે મને એકાએક ભાન થયું છે કે જો સૌ પ્રથમ મેં મારી જાતમાં પરિવર્તન આણ્યું હોત તો એનું અનુકરણ કરીને મારા પરિવારમાં પરિવર્તન આવ્યું હોત અને એ રીતે હું રાષ્ટ્રના વિકાસમાં થોડો પણ ફાળો આપી શક્યો હોત અને કોણ જાણે, કદાચ એ રીતે હું દુનિયાને થોડી બદલી પણ શક્યો હોત. થોડી સારી બનાવી શક્યો હોત."
બીજાઓને સમજવાનો પ્રયત્ન કરવો પણ સુધારવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. સુધારવી હોય તો પોતાની જાતને સુધારવી. જાતને સુધાર્યા વિના બીજાને સુધારી શકાતા નથી અને એટલે જ પાદરીની વાતમાં ઘણું ડહાપણ છે. બીજાએ શું કરવું જોઈએ? એ નક્કી કરવાના બદલે પોતાનું જીવનકાર્ય નક્કી કરવું. શરીરના અવયવોની પેલી વાત 'બીજા કામ કરતા નથી' એવા પૂર્વગ્રહથી પીડાવાના બદલે જાતને સુધારતાં રહીને નિષ્ઠાપૂર્વક કામ કરતાં રહેવું, તો કદાચ બહુ અફસોસ નહીં રહે.

 કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ

Get Update Easy