![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjk3eDWiC2fS2PKIJK4z-EXRICyPaKDoo8Rmbxc38R2zBaDgVSSnPtAT1FtI80hNlSXOs3mkGEWfqoEGtJOZg53ldCS7LTjBYNik0mHcfk8EOSiDgjW_VbMH_qwOJ3J60J6ZyS8eGl36x6z/s400/IMG-20131025-WA0003.jpg)
TAT (Secondary)- July 2014 ANSWER KEY
![TAT-2014](http://www.gseb.org/gseb/images/TAT_2014.jpg)
ભારતીય સંસ્કૃતિ
ભારતની સંસ્કૃતિની વાતો આપણાંમાટે ઘણું બધુ જનરલ નોલેજ આપે છે, તો તેની વિગતો પણ જાણીએ.
માહિતી માટે ચિત્ર પર ક્લિક કરો
ટીચર, તમે કેટલા અપડેટેડ છો ?
સમાજમાં શિક્ષકનું જે સ્ટેટસ હતું તે હવે તેને મળે છે? શિષ્ય, શિક્ષક અને
સમાજ ત્રણેય એવી રીતે જોડાયેલા છે કે જો ત્રણેયમાંથી એકેય નબળું રહે તો ન
ચાલે. વિચારવાનો સવાલ એ પણ છે કે શિક્ષકમાં કમી છે કે પછી સિસ્ટમમાં જ કોઈ
ખામી છે?શિક્ષક પાસે સહુને અપેક્ષા છે પણ સમાજ શિક્ષકની અપેક્ષા સંતોષી
શક્યો છે? ભણતા શીખવાડે એવા શિક્ષકોની સંખ્યા વધતી જાય છે પણ જીતતા અને
જીવતા શીખવાડે એવા શિક્ષકોની સંખ્યા સતત ઘટતી જાય છે.
તમારી જિંદગીમાં જો તમને સારા ટીચર મળ્યા હોય તો તમે નસીબદાર છો. તમને
મળેલા બેસ્ટ ટીચરને યાદ કરો. કોનો ચહેરો સામે આવ્યો? હવે એ વિચાર કરો કે
કેમ એક જ ચહેરો નજર સામે ઉપસ્યો? બાકીના ટીચર્સ શું નકામા હતા? આપણી
જિંદગીમાં તો અનેક શિક્ષકો આવ્યા હોય છે. એમાંથી કેમ બે ચાર જ યાદ રહે
છે? કારણ કે એ કંઈક જુદા હતા. છતાં એક સવાલ તો થાય જ છે કે કેટલા શિક્ષકો
ગુરુદેવની વ્યાખ્યામાં ફિટ થાય છે?
ચાણક્યનું વાક્ય છે, શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતા પણ કેટલા શિક્ષકો
પોતાને અસામાન્ય સમજે છે? અને લોકો પણ ટીચરને કેવું સ્ટેટસ આપે છે? કોઈને
તમે પહેલી વખત મળતાં હો અને પૂછો કે તમે શું કરો છો? એ વ્યક્તિ જવાબ આપે કે
હું શિક્ષક છું, તો તમારા મનમાં પહેલી ઇમ્પ્રેશન કેવી પડે? ઓકે, ટીચર છે.
બંને પક્ષે કંઈક મિસિંગ છે.
આજે આપણે જે કંઈ છીએ તેમાં આપણા
ટીચર્સ, પ્રોફેસર્સનો ફાળો છે. કોઈ ઘડતર એમ ને એમ નથી થતું, કોઈની મહેનત
બોલતી હોય છે. બાળકના જીવનમાં મા-બાપ પછી જો કોઈ સૌથી મહત્ત્વની વ્યક્તિ
હોય તો એ ટીચર છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ... વાળો શ્લોક આપણે સમજણાં
થયા ત્યારથી બોલતા આવ્યા છીએ. ગુરુને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ. ગુરુ
ગોવિંદ દોનો ખડે, કીસકો લાગુ પાય? બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દીયો દિખાઈ.
ભગવાન મળ્યા પણ એ ગુરુને કારણે મળ્યા છે એટલે ગુરુ મહાન છે. પણ હવે કોઈને
ગુરુ ભગવાન માટે નહીં પણ ડિગ્રી માટે જોઈએ છે. અલબત્ત, એનાથી પણ ગુરુનું
મહત્ત્વ કે માહાત્મ્ય ઘટતું નથી.
સમય બદલાયો છે. બધું બદલાયું છે. સ્ટુડન્ટ બદલાયો છે, શિક્ષક કેટલા બદલાયા
છે? હા, ઘણા ટીચર્સ બદલાયા છે. હવે 'સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ'નો
જમાનો નથી. શિક્ષણ હાઈટેક થયું છે. મોબાઈલ, ઈન્ટરનેટ, લેપટોપ અને આઈપેડવાળો
આજનો શિષ્ય શાણો થઈ ગયો છે. અમુક સવાલોના જવાબ તો એ ગૂગલમાં સર્ચ મારીને
શોધી લ્યે છે. શિક્ષકની જવાબદારી એટલે જ વધી જાય છે. કેટલા
શિક્ષકો લેટેસ્ટ ટેક્નોલોજી અને સોસાયટીના બદલાતા પ્રવાહોથી અપડેટેડ હોય
છે? પોતે જે ભણાવતા હોય એ વિષય સિવાયનું જ્ઞાન જ શિક્ષકને ગુરુનો દરજ્જો
આપશે.
કહેવાનો મતલબ જરાયે એવો નથી કે બધા જ શિક્ષકો અને પ્રોફેસરો આઉટડેટેડ છે.
સમજુ, શાણા અને જ્ઞાની શિક્ષકોની કમી નથી. બ્લેકબોર્ડ, ચોક અને ડસ્ટરની
મેન્ટાલિટીમાંથી બહાર આવી સફળતા અને સુખની સમજ આપનારા શિક્ષકોનો પણ મોટો
વર્ગ છે. દેશમાં શિક્ષણ અને શિક્ષકના બે ચહેરા છે. એક ચહેરો અત્યંત તેજસ્વી
છે અને બીજો ડાર્ક છે. એક તરફ આલીશાન સ્કૂલ અને કોલેજીસ છે તો બીજી તરફ
ખખડધજ શાળાઓ છે. શહેરની શાળામાં બાળકોને કડકડાટ ઇંગ્લિશ બોલતા શીખવાય છે
અને ગામડાંની શાળામાં બાળકો પાઠયપુસ્તકોનો ગુજરાતી પાઠ પણ માંડ માંડ વાંચી
શકે છે. શિક્ષણનું ઓલમોસ્ટ પ્રાઈવેટાઈઝેશન અને વ્યાપારીકરણ થઈ ગયું છે.
ટયુશન વિના વિદ્યાર્થી પાસ થઈ શકતો નથી. સ્કૂલ અને ટયુશનનો બમણો ભાર
વિદ્યાર્થી વેંઢારે છે. શાળા એ માત્ર શિક્ષણ નહીં પણ સંસ્કાર આપવાનું સ્થળ
છે પણ ખરેખર એવું રહ્યું છે?
કોઈ શાળા, કોલેજ કે યુનિર્વિસટીની ખ્યાતિ હોય તો એ તેના શિક્ષકો અને
પ્રોફેસરોના કારણે હોય છે. દરેક સંસ્થાએ તેનું સ્ટાન્ડર્ડ મેઇન્ટેઇન કરવું
પડે છે. ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં તેના ટીચર્સ - પ્રોફેસર્સ અપડેટેડ રહે તે
માટે વર્કશોપ અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થાય છે એટલે તેની નામના ટકી રહે છે.
સરકારી શાળા અને સરકારી શિક્ષણનું સ્તર કેટલું સુધરે છે? એટલો જ મહત્ત્વનો
સવાલ એ છે કે સુધરતું નથી તો શા માટે નથી સુધરતું? કેટલો વાંક શિક્ષકોનો
છે અને કેટલો સરકારનો? ગામડેથી આવેલી એક વ્યક્તિએ એવું કહ્યું કે અમારા
ગામની સરકારી શાળાના શિક્ષકો તો છોકરાંવને ચાલુ ક્લાસે માવો કે પડીકી લેવા
મોકલે છે. શિક્ષકની નોકરી મળી ગઈ પછી ઘણા શિક્ષકો કંઈ જ વાંચતા કે લખતાં
નથી. એક જ પુસ્તક વર્ષો સુધી ભણાવતા શિક્ષકોને એ પુસ્તક સિવાય કશી ખબર જ
હોતી નથી.
સરકારી શિક્ષકોની છાપ હોવી જોઈએ એવી નથી એટલે લોકો પોતાનાં સંતાનોને ખાનગી
શાળાઓમાં મોકલે છે. ત્યાં વળી ચિત્ર સાવ ઊંધું છે. ખાનગી શાળાઓમાં
શિક્ષકોનું જ શોષણ થતું હોવાની બૂમ છે. શિક્ષકોને પગાર ઓછો અપાય છે.
પગારપત્રકમાં મોટી રકમ પર સહી લેવાય છે અને ચુકવણું ઓછું થાય છે.
શિક્ષકની દશા અને દિશા પર
મનોમંથન કરવાની જરૂર છે. માત્ર શિક્ષકોને દોષ દઈ દેવાથી સ્થિતિ સુધરી
જવાની નથી. ઘણું બધું એવું છે જે બદલવાની અને સુધારવાની જરૂર છે. સિસ્ટમ
જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી શિક્ષણ નહીં સુધરે. બધો જ વાંક શિક્ષકોનો
નથી.
શિક્ષકોની વેદના ક્યારેય કોઈએ એમને પૂછી છે? શિક્ષકોને સમાજમાં જે સ્ટેટસ
મળવું જોઈએ એ મળે છે? મા-બાપની મેન્ટાલિટી પણ એવી થઈ ગઈ છે કે ફી જોઈએ એટલી
લઈ લો પણ અમારા છોકરાને હોશિયાર બનાવી દો. શિક્ષકોની 'કિંમત' છે પણ
'મૂલ્ય'નથી. ફીની રકમને માર્કશીટના પરસન્ટેજ અને પર્સન્ટાઈલથી માપવામાં આવે
છે. એક શિક્ષકે કહ્યું કે મા-બાપ હવે હિસાબ માંગે છે. કન્સલ્ટન્ટને જેમ
તમે કિંમત ચૂકવો અને રિઝલ્ટ માંગો એવું જ હવે એજ્યુકેશનમાં પણ થઈ ગયું છે.
ડોક્ટર પાસે દવા લેવા જઈએ એટલે દર્દી સાજો થઈ જવો જોઈએ એવી જ દાનત હવે
શિક્ષણમાં પણ થઈ છે. બાળકને ભણવા મોકલીએ એટલે એ હોશિયાર થઈ જવો જોઈએ. બાળક
ઠોઠ હોય એટલે શિક્ષક ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાનો.
એક શિક્ષણશાસ્ત્રીએ સરસ વાત કરી કે હવેના બાળક અને યુવાનની સાઇકોલોજી બદલાઈ
છે એટલે ટીચર્સે પણ બદલાવું પડશે. શિક્ષકોને હવે ચાઈલ્ડ સાઇકોલોજી અને
યંગસ્ટર્સની મેન્ટાલિટી સમજવાનું શિક્ષણ આપવું પડશે. શિક્ષકે હવે
ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઈડ બનવાનું છે. વિદ્યાર્થી સાથે શિક્ષકે પણ નવું
નવું શીખતા રહેવું પડશે. વિદ્યાર્થી તો જ તમને આદર આપશે જો એને એવું લાગશે
કે તમારામાં તેને નોલેજ આપી શકો એટલું જ્ઞાન છે. અમારા સાહેબ કે મેડમને તો
કંઈ ખબર જ નથી પડતી એવું જો વિદ્યાર્થીને થયું તો એને ક્યારેય આદર થવાનો
નથી.
શિક્ષકોએ માત્ર ભણાવવાનું નથી, ટીચરની સાથોસાથ મેન્ટરની ભૂમિકા પણ ભજવવાની
છે. મા-બાપ પાસે હવે સંતાનો માટે પૂરતો સમય નથી એટલે તેની અપેક્ષા શિક્ષક
પાસેથી વધી જાય છે. શિક્ષકનું સ્વરૂપ પણ હવે બદલાયું છે. ક્લાસમાં ભણાવે એ જ
શિક્ષક નથી, હવે બધી જગ્યાએ કોચ છે. બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલને લંડન
ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મળ્યો. આ પછી તેને સફળતા વિશે પ્રશ્ન પૂછવામાં
આવ્યો, ત્યારે તેણે પોતાના કોચ ગોપીચંદ પુલેલાની એક વાત કરી. સાઈનાએ કહ્યું
કે હું જ્યારે મેચ હારતી ત્યારે રડવા માંડતી. મારા કોચ ગોપીચંદ મને કહેતા
કે તું રડે રાખીશ તો ક્યારેય જીતી નહી શકે, તારે જીતવું હશે તો રડવાનું બંધ
કરવું પડશે. કેવી રીતે રમવું તેના કરતાં કેવી રીતે જીતવું એ શિખામણ જ કદાચ
સાઈના માટે મહત્ત્વની સાબિત થઈ છે.
સફળતાનાં ક્ષેત્રો બદલાયાં છે એમ ગુરુની ભૂમિકા પણ બદલાઈ છે. હવેના
વિદ્યાર્થીને માત્ર ભણતાં નહીં પણ જીતતા અને જીવતા શીખવવાનું છે.
વિદ્યાર્થીની મૂંઝવણ અને દિલની વાત જાણી તેને મોટિવેટ કરવાના છે. એક સફળ
માણસ પાછળ અનેક સજ્જન શિક્ષકોનું યોગદાન હોય છે. વિદ્યાર્થીને સફળ સાબિત
કરવા શિક્ષકે ખરાં ઊતરવું પડે એવો સમય છે. એક શિક્ષકે કહ્યું કે મારો
વિદ્યાર્થી જ્યારે પાસ થાય છે ત્યારે તેની સાથોસાથ હું પણ પાસ થાઉં છું અને
તે જ્યારે નાપાસ થાય છે ત્યારે હું પણ ફેઈલ થાઉં છું.
ગુરુ ઓલવેઝ ગ્રેટ હોય છે અને જે ગ્રેટ હોય છે એવા જ ગુરુ આપણને યાદ રહેતા
હોય છે. દરેક ગુરુજને પણ એ જ વિચારવાનું રહે છે કે હું ગ્રેટ છું? તમારામાં
એ તાકાત છે કે તમારી એક વાત કોઈની જિંદગી બનાવી શકે છે.
છેલ્લે એક વિદ્યાર્થીએ તેના શિક્ષક વિશે કરેલી વાત કહેવી છે. તમારા ટીચર
કેવા છે? એવો સવાલ કર્યો ત્યારે તેણે કહ્યું કે અમારા ટીચર બહુ જ સારા અને
હોશિયાર છે પણ એ માત્ર હોશિયાર વિદ્યાર્થીઓ તરફ જ ધ્યાન આપે છે. હવે જે
હોશિયાર છે એ તો છે જ પણ જે હોશિયાર નથી એનું શું? હે ગુરુજનો, આ બાળકની
વાત પણ ગૌર ફરમાવવા જેવી છે.
-K.B.P